પુનાની પોર્શે કાર અકસ્માતનો મામલો: અકસ્માત કેસમાં હવે સગીરના દાદાની પણ ધરપકડ કરાઈ, ડ્રાઈવરને ધમકાવવાનો છે આરોપ, IPCની કલમો લાગું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan25052024_063507_P car.webp)
- 25 May, 2024
પુનાનાં પોર્શે કાર અકસ્માત કેસમાં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પુના પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરને ધમાકાયો અને તેને ઘરે જવા દીધો નહોતો. ડ્રાઈવરે સુરેન્દ્ર અગ્રવાલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે સુરેન્દ્ર અગ્રવાલ પર પણ કલમો લગાવવામાં આવશે. આઈપીસીની કલમ 365, 366 અને અન્ય કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવશે. આના એક દિવસ પહેલા શુક્રવારે પુના પોલીસ પ્રમુખ અમિતેશ કુમારે કહ્યું હતું કે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો નહોતો.
જોકે એક અન્ય અધિકારીએ કહ્યું કે અકસ્માત પછી સગીરના દાદા અને પિતાએ ડ્રાઈવરનો ફોન કથિત રીતે લઈ લીધો અને તેને 19 મેથી 20 મે સુધી તેના બંગલના પરિસરમાં બંધક બનાવીને રાખ્યો હતો. ડ્રાઈવરની પત્નીએ તેને છોડાવ્યો હતો.
આ પહેલા શુક્રવારે સગીર આરોપીને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સગીર રિયલ એસ્ટેટ ડેવલોપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. પોલીસે પહેલા જ વિશાલ અગ્રવાલની ધરપકડ કરી ચુકી છે. તેને કોર્ટે શુક્રવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
પુનાના કલ્યાણી નગરમાં 19 મેના રોજ સગીરે તેની પોર્શે કારથી મોટરસાઈકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બંનેના મોત થઈ ગયા હતા. પોલીસે દાવો કર્યો છે કે સગીર નશાની સ્થિતિમાં કાર ચલાવી રહ્યો હતો. જોકે પછી સગીરને જામીન મળી ગયા હતા. તે પછીથી સમગ્ર દેશમાં આ મામલાની ચર્ચા શરૂ થઈ ગઈ અને પોલીસની ખૂબ જ નીંદા થઈ. તે પછીથી પોલીસે નવેસરથી કાર્યવાહી શરૂ કરી. શુક્રવારે જ બેદરકારીના આરોપમાં બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.